પૂજ્યોના આશીવર્ચન










પરમ પૂજ્ય આચાર્ય વિજય શ્રી ૐકારસૂરીશ્વરજી મહારાજાના સમુદાયના પ્રાચીન સાહિત્ય સંશોધક 
આચાર્ય વિજય શ્રી મુનિચન્દ્રસૂરિ મ.સા.

પાલીતાણા, ૨૨-૦૧-૨૦૧૯ 

સુશ્રાવક અર્પિત, મિહિર, રાહુલભાઈ, દેવાંગભાઈ, પ્રિયલબેન, વિશાખાબેન, વિરાલીબેન આદી સર્વે, ધર્મલાભ !

તમારા યાત્રા પ્રવાસના સચિત્ર સંસ્મરણો – “પ્રભુ તમારા પગલે પગલે” વાંચ્યા. પ્રવાસ વર્ણનમાં ઇતિહાસ અને ભક્તિનું સુંદર મિશ્રણ હોય એવો એક અનોખો પ્રયાસ. ખૂબ ખૂબ ધન્યવાદ!

ઈન્ટરનેટ વગેરે સાધનો દ્વારા પ્રભુની વિચરણ ભૂમિના વર્તમાનમાં નામાંતર થયેલા સ્થળો શોધી તમે જે પ્રયાસ કર્યો છે તે કાબિલેદાદ છે . આપણા ચાલુ યાત્રા – પ્રવાસમાં ઇતિહાસનું તત્ત્વ તો નહીવત્ છે. યાત્રા પણ ઓછી અને પ્રવાસનુંજ મહત્વ બચ્યું હોય એવી સ્થિતિ છે.

તમારા લખાણમાં જોડણીની ભૂલો થોડી છે બાકી લખાણ સુગમ, સરળ અને નેત્રદીપક છે. ફરી ધન્યવાદ! તમારા બીજા પ્રવાસવર્ણનની રાહ જોઈશું. ઇતિહાસ શોધવા તમે નેટ અને પુસ્તકોનો ઉપયોગ કર્યો જ છે. કેટલાક નામ જણાવું છું, જે તમારા ઘ્યાનમાં ન હોય તો લાવશો –
  • ભગવાન મહાવીર એક અનુશીલન – લે. દેવેન્દ્રમુનિ શાસ્ત્રી
  • જૈન તીર્થોકા ઐતિહાસિક અન્વેષણ – ડો. શિવપ્રસાદ ઝવેરી
  • જૈન પરંપરા ઇતિહાસ ભા. ૧-૨-૩-૪ – ત્રિપુટી મ.
  • શ્રમણ ભગવાન મહાવીર – લે. પં. કલ્યાણ વિજય મ.
મિથિલા બાબત મેં એવું સાંભળ્યું છે કે નેપાળમાં મલ્લિટોલા / નમિટોલા નામે બે ટેકરી ઉપર નાની દેરીમાં પગલાં હતા. અશાતના થતી હોવાથી ચંપાપુરી લવાયા. મિથિલાનું સ્થાન નેપાળમાં હોય એવી સંભાવના ખરી ? અનુકૂળતાએ જવાબ આપજો.

~~~~~~






પરમ પૂજ્ય આચાર્ય વિજય શ્રી રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન તેજસ્વી પ્રતિભા સંપન્ન કવિરત્ન ગુરુદેવ
પ. પૂ. મુનિશ્રી પ્રશમરતિવિજયજી મહારાજા – “દેવર્ધિ”

સાધુ તો ચલતા ભલા, પુસ્તકનાં પ્રકરણો લખાયા તે વખતે – પદયાત્રાની મર્યાદા હતી, ગૂગલ મેપની સગવડ નહોતી અને વિહારમાં સમયની કમી હતી. તેને લીઘે વૈશાલી, કોલ્હુઆ, જોગિયા, આ બઘી ભૂમિઓ જુહારવાનો લાભ મળ્યો નહોતો. એક રંજ હતો કે આ પવિત્ર ભૂમિઓ વિશે શ્વેતાંબર જૈનો અજાણ રહ્યા કરે છે. કોઈ ત્યાં જાય અને લખે એવું મનમાં રહેતું.

તમે પદ્ધતિસર ત્યાં ગયા અને સંદર્ભ પુરસ્સર લેખન કર્યું. તે ખૂબ ગમ્યું, શૂલપાણિ યક્ષનાં ચૈત્યના ફોટા જોઈને આંખમાં આંસુ ઉભરાયા. તમે ઈતિહાસના લુપ્ત પાનાં શોઘી કાઢ્યાં છે, ભાઈ”.

~~~~~~

વિષેશ નોંધ - આ પુસ્તકમાં પ્રભુ શ્રી મહાવીરની અનેક વિચરણ ભૂમિઓના નૂતન નામો પૂજ્યશ્રીની વિહાર યાત્રાના સંસ્મરણોનો સમાવેશ કરતી પુસ્તક “સાધુ તો ચલતા ભલા” થી પ્રાપ્ત થયા છે.

~~~~~~





પરમ પૂજ્ય આચાર્ય વિજય શ્રી જગચ્ચન્દ્ર સૂરીશ્વરજી મહારાજાના (ડહેલાવાળા) શિષ્યરત્ન 
પૂજ્ય મુનિ શ્રી શીલચન્દ્ર વિજયજી મ.સા

ૐ श्री सर्वज्ञाय नम:
प. पू. गुरुदेवाचार्य श्री सुरेन्द्र-राम-जगच्चन्द्रसूरीश्वरेभ्यो नमो नम:

પોષ દશમી’ ૨૦૭૫
આરાધના ભવન, કડપા (આ. પ્ર.)

શ્રમણોપાસક સંગીતજ્ઞ શ્રી અર્પિત,
ધર્મલાભ સહ આનંદ પ્રવર્તમાન હશે..

અત્ર અમે પણ ભવોદધિતારક ગુરુદેવશ્રીની કૃપાથી શાતામાં છીએ..

વિશેષ.. ’પ્રભુ તમારા પગલે પગલે’ પુસ્તિકા ગુરુદેવશ્રીએ સાદ્યંત વાંચી ને બ્લ્યુપેનથી ભૂલો સુધારી મને આપી (બેજ દિવસમાં). મેં લાલ પેનથી સુધારા કર્યા છે.. હજી ક્યાંક ક્યાંક ભૂલો રહી ગઈ હશે.. એકના એક શબ્દો વારંવાર જ્યાં ખોટા આવતા હશે ત્યાં દરેક સ્થાને ભૂલ સુધારી નહીં હોય..!

ત્રિષષ્ઠિ શલાકા પુરુષ ચરિત્ર જોયું.. કાનમાંથી ખીલા નીકાળવાનો પ્રસંગ બરાબર છે.. અને ‘સુદામસ્ત્ર’ શબ્દ ની જગ્યાએ ત્રિષષ્ઠિમાં સુદંષ્ટ્ર / સુદાઢ દેવ એ પ્રમાણે છે. છેલ્લે જે નામોની યાદી છે તેમાં તે ક્ષેત્રોમાં ઉપલબ્ધ વ્યવસ્થાનો પણ ઉલ્લેખ થાય તો વધુ ઉપયોગી નીવડે (ધર્મશાળા – ભોજનશાળા – કી.મી. વગેરે) તથા કયા કયા ક્ષેત્રોમાં ખાસ જિર્ણોદ્ધાર તથા ધર્મશાળા આદિની વિશેષ આવશ્યકતા છે તેની પણ એક અલગ નોંધ એડ કરાવી શકાય અને જો વ્યવસ્થિત રીતે તૈયાર કરીને ફોન્ટ પણ (અંદરની મેટરનાં) બદલવામાં આવે અને પછી જો આ પુસ્તિકાનું પ્રકાશન થાય તો ખૂબ ઉપયોગી થશે.. અસ્તુ..

તારા મમ્મી, પપ્પા, તથા શ્રાવિકા આદિ સર્વે યાદ કરનારને ધર્મલાભ વિદિત હો..

આરાધનામાં પ્રયત્નશીલ રહેજે બસ એજ ગુર્વાજ્ઞયા.

~~~~~

Comments

Post a Comment

Popular posts from this blog

પ્રભુ તમારા પગલે પગલે

યાત્રાની રૂપરેખા